શ્રાવણ વદ આઠમના દિવસે સવારે સ્નાનાદિ કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને સુગંધિત ચંદન તથા પુષ્પોથી પૂજન ભગવાન કૃષ્ણનું પૂજન કરવું. ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને ભગવાન શ્રીકૃષ્ણની કથા સાંભળવી. કૃષ્ણના ગુણગાન ગાવા, ભજન કરવાં. આ દિવસે ઉપવાસ કરવો અને બીજા દિવસે બ્રહ્મભોજન કરાવી પારણાં કરવાં.

મથુરામાં ઉગ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ. ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો. તેની દૃષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી. રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો.
પવનરેખા કાંઈ સમજી નહિ અને તેને ગર્ભ રહ્યો. આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો. જેનું નામ કંસ રાખવામાં આવ્યું. આ કંસ કાળનેમીનો અવતાર હતો. કંસમાં જન્મથી જ રાક્ષસનાં લક્ષણો હતાં. આઠ વર્ષની વયે તો તે મગધદેશમાં ગયો અને મલ્લયુદ્ધ કરીને જરાસંધ સામે જીત્યો. આવો તે બળવાન હતો.
કંસના કાકા દેવકને એક પુત્રી હતી. તેનું નામ દેવકી હતું. કંસે તેને પાળીપોષીને મોટી કરી હતી. દેવકી સમજણી થતાં વસુદેવ નામના યાદવ સાથે તેનાં ધામધૂમથી લગ્ન થયાં. કંસના આનંદનો પાર ન હતો. તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા લાગ્યો. રથ લઈને તે થોડે દૂર ગયો, ત્યાં જ આકાશવાણી થઈઃ કે હે કંસ! આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે.

આટલું સાંભળતાં કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ. તેણે વિચાર્યું કે જો હું દેવકીને જ મારી નાંખુ તો તેને બાળક ક્યાંથી થાય ! તેણે ખડગ કાઢ્યું અને દેવકીને મારવા ગયો. ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, કે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી-હત્યાનું પાપ લાગશે. તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને શા માટે મારો છો? તેને જેટલાં બાળકો જન્મશે તેટલાં હું તમને આપતો જઈશ. વસુદેવની વાત કંસને યોગ્ય લાગી. પણ ફરી તેને એમ થયું કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું? તેણે પોતાનો રથ પાછો મથુરા તરફ હંકારી મૂક્યો અને દેવકી, વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. કંસના પિતા ઉગ્રસેન કાંઈ કહે તે પહેલાં ગાદી પરથી ઊઠાડીને તેમને પણ કારાગૃહમાં પૂર્યા. આમ કંસ પોતાના પિતાના જીવતાં જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ.
થોડા મહિનાઓ વીત્યા અને દેવકી સગર્ભા થઈ, તેણે એક પુત્રને જન્મ આપ્યો. કંસને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડી મારી નાખ્યો! આમ દેવકીના એક પછી એક છ પુત્રનો કંસે નાશ કર્યો.
ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો, દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળિયાઓ બન્યા. દેવકી સાતમી વાર સગર્ભા થઈ, તે સમયે શેષનાગે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને રોહિણીજીના ઉદરમાં પહોંચી ગયો. રોહિણીએ નવ મહિને પુત્રને જન્મ આપ્યો. જેનું નામ રામ પાડવામાં આવ્યું. રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાંખ્યો, તેથી તે બલરામ કહેવાયા. બલરામને શેષનાગનો અવવતાર ગણવામાં આવે છે.

દેવકી આઠમીવાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેને જશોદા નામે પત્ની હતી. તે પણ આજ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકી અને વસુદેવ કારાગૃહમાં હતા. શ્રાવણ મહિનાની આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાંની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વસુદેવજી ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહનાં લોખંડી બારણાં ઉઘાડી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દૃષ્ટિ કરી, તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો.

તેમએ બાળક-કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનામાં પાણી હિલોળા લઈ રહ્યું હતું. પણ તેમના શરીરમાં દૈવી શક્તિનો સંચાર થયો હોય તેમ સાહસપૂર્વક તેઓ નદીમાં ઉતર્યા. યમુનાને જેવો બાળકૃષ્ણના ચરણનો સ્પર્શ થયો કે તે શાંત થઈ ગઈ. વસુદેવ ક્ષેમકુશળ ગોકુળમાં નંદરાજાને ઘરે પહોંચી ગયા. તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા આપ્યું.
જશોદાને આ જ સમયે એક દીકરી જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણને રાખીને પોતાની નાની બાળકી વસુદેવને સોંપી. તેને શ્રદ્ધા હતી કે, તે દીકરી હોવાથી કંસ તેને નહિ મારે. વસુદેવ યોગમાયા સ્વરૂપા દીકરીને લઈને ફરી મથુરાના કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે દીકરી દેવકીના ખોળામાં મૂકીને બધી વાત કહી અને કારાગૃહનાં બારણાં બંધ કરી દીધાં. તેમની વાત સાંભળી દેવકીને નિરાંત થઈ.
દેવકીએ સંતાનને જન્મ આપ્યાની ખબર પડતાં જ કંસ સવારના સમયે જ કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યુંઃ “રાજન્! આ વખતે પુત્ર નહીં પણ દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહિ આવે.”

કંસે કહ્યુંઃ “વસુદેવ ! તમારું કહેવું ખરૂં છે, પરંતુ બતાવો તો ખરા! વસુદેવે વહાલથી દીકરી કંસના હાથમાં આપી. કંસ દીકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો. અને બોલ્યો કે વસુદેવ! હું મૂર્ખ નથી કે હાથે કરીને કૂવામાં પડું! આમ કહી કંસ પુત્રીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડવા ગયો ત્યાં જ પુત્રી અર્દશ્ય થઈ ગઈ અને જતાં જતાં બોલીઃ “કંસ! તું શું ઈશ્વરલીલાને સમજી શકે? મૃત્યુ ટાળવા તેં અનેક બાળહત્યાઓ કરી, પણ મૂર્ખ! તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઊછરી રહ્યો છે!”
આ દૈવવાણી સાંભળી ત્યારથી કંસનો અજંપો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસમિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ-મથુરાનાં બાળકોને મારી નાંખવાનું કામ સોંપ્યું. પૂતના માસીરૂપે નંદરાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણએ સ્તનપાનને બદલે તેનો જીવ ખેંચી લીધો. કંસની આખી યોજના ફોગટ ગઈ.

ત્યાર પછી કંસે બકાસુર, ધેનુકાસુર જેવા રાક્ષસો કૃષણને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણએ તે બધાનો નાશ કર્યો. ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અકુરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને મારવા જાતજાતની યુક્તિઓ કરી રાખી હતી.
કૃષ્ણએ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો. તે વેળા કંસે કુવલયાપીડ નામના મદોન્મત્ત હાથીને છૂટો મૂક્યો. હાથી ને પોતાના સામે આવતો જોઈ કૃષ્ણ સાવધાન થઈ ગયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના એક દાંતને ઉખાડી લીધો અને એ જ દાંતના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો.
કંસે ચાણુર અને મૂષ્ટિક નામના મલ્લો સાથે મલ્લયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણએ મલ્લયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું. કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા.

કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રૂજી ગયો, છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો, અને કૃષ્ણ પાસે આવતા કંસે તેમને પોતાના બાહુપાશમાં જકડી લીધા.
કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મૂષ્ટિપ્રહાર કર્યો! કંસ મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યો. કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મૂષ્ટિ પ્રહારોથી તેના પ્રાણ લઈ લીધા.
કંસના મૃત્યુના સમાચાર મળતા જ નગરજનોના આનંદનો પાર ન રહ્યો. ભગવાન શ્રીકૃષ્ણના જયધ્વનિથી રાજભવન ગુંજી ઉઠ્યું. કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા. પોતાનાં માતા પિતાને મુક્ત કર્યા. દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યાં, તેમના આનંદનો પાર રહ્યો નહિ.
કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધનમુક્ત કરી રાજ્યલોભ રાખ્યા વિના કૃષ્ણએ તેમને ફરીથી સિંહાસન પર બેસાડ્યા.પછી અનેક રાક્ષસોનો નાશ કરીને તેઓ દ્વારકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી, અર્જુનને ગીતા રૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાનાં બળ, બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે સમગ્ર ભારતમાંથી આતતાયીઓનો નાશ કર્યો. તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા અને જન્મ પણ આઠમના દિવસે થયો હતો, આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે.
જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ અને સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌથી પહેલું રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા.