જૂની પેન્શન યોજનાની અમલવારીની માગ સાથે શિક્ષકો ફરી વખત સરકાર સામે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં શિક્ષકો આંદોલન કરવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માન સમારંભમાં ઓપીએસ માટે જલદ કાર્યક્રમો આપવાની વાત સામે આવી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહજી જાડેજા સતત ચોથી વખત વિજેતા થયા છે, ત્યારે તેમના તેમજ રાજ્યના હોદ્દેદાર ડૉ. દીપેન્દ્રભાઈ ધાધલના સન્માન સમારોહમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સારસ્વત ભાઈઓ,બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા તેમજ રાજ્ય હોદ્દેદાર દિપેન્દ્રભાઈ ધાધલ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો વિશે વાત કરવામાં આવી. જેમાં તમામ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો, બદલી પામેલ શિક્ષકોને 100% છુટ્ટા કરવા, જે શિક્ષક મિત્રોએ CCC પરીક્ષા પાસ કરેલી છે તેમને ન્યાય અપાવવો, તાલુકા અને જિલ્લા બદલી કેમ્પ કરવા, કાયમી શિક્ષકોની ભરતી કરવી, ઓનલાઈન હાજરી બંધ કરવી, તેમજ શિક્ષકોને શિક્ષણ અને રાષ્ટ્રીય હિત સિવાયની જે કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે તેવી તેમણે માગ કરી.
જૂની પેન્શન યોજનાને લઈને સરકારે 2022માં આપેલા વચનનું વહેલી તકે પાલન થાય તે માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલદ કાર્યક્રમો કરવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ કક્ષાના, જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના હોદ્દેદારો તાલુકાના BRC કૉ.ઓર્ડિનેટર, CRC કૉ. ઓર્ડિનેટર, HTAT આચાર્યો, નિવૃત શિક્ષકો, અને મોટી સંખ્યામાં શુભેચ્છક શિક્ષકો હાજર રહ્યા હતા.