Homeગુજરાતકમોસમી વરસાદમાં પલળી ગઈ કેરીઓ; ખેડૂતો, ઈજારેદારોને આવ્યો રોવાનો વારો

કમોસમી વરસાદમાં પલળી ગઈ કેરીઓ; ખેડૂતો, ઈજારેદારોને આવ્યો રોવાનો વારો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી થઈ રહી હતી. આ દરમિયાન અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે કેરીના હજારો બોક્સ પલળી ગયા. અને કેરી પણ પાણીમાં તણાતી જોવા મળી. આ ઘટનાથી ખેડૂતો, ઇજારેદારો અને વેપારીઓ ચિંતામાં આવી ગયા હતા.આ અણધાર્યા વરસાદે કેરીના બોક્સ જ નહીં, પરંતુ ખેડૂતોની આશા પર પણ પાણી ફેરવી દીધું.

સેસ લેવાય છે, સુવિધા નથી મળતીઃ વેપારી
કેરીના વેપારીએ જણાવ્યું કે, 3 વર્ષથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ફળોની હરાજી માટે યોગ્ય શેડ બનાવવામાં નથી આવ્યો. પાકા રોડ, ગટર વ્યવસ્થાની પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો રજૂઆત નથી સાંભળી રહ્યા. વેપારીએ રોષ સાથે કહ્યું કે હરાજી દરમિયાન અચાનક વરસાદ આવ્યો અને શેડના અભાવને કારણે કેરીના બોક્સ પાણીમાં પલળી ગયા. ખેડૂતો, ઈજારેદારો અને વેપારીઓની મહેનત પર પાણી ફરી વળ્યું. આ ઉપરાંત વેપારીએ કહ્યું કે કેરીના એક બોક્સ દીઠ સરકાર બે રૂપિયા વસૂલે છે. સુપ્રીમ કોર્ટે સેસ રદ કરવાનો હુકમ આપ્યો હોવા છતાં વસૂલી થઈ રહી છે. છતાં યાર્ડમાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સવારે જેવી હરાજી શરૂ થઈ કે વરસાદ પડવાનો શરૂ થયો અને કેરીના લગભગ 25 થી 30 હજાર બોક્સને નુકસાન થયું. વેપારીનું કહેવું છે કે અહીં શાકભાજી અને ફળ બંને માટે એક જ જગ્યા છે, જેથી વધુ મુશ્કેલી પડે છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

ઈજારેદારની કેરીના 100 બોક્સ પલળી ગયા
એક ઈજારેદારે જણાવ્યું કે તેઓ 100 બોક્સ લઈને જૂનાગઢ આવ્યા હતા. પણ વરસાદને કારણે તમામ બોક્સ પલળી ગયા. જેને કારણે 15 હજાર જેટલું નુકસાન થયું છે. ઈજારેદારે કહ્યું કે ધારાસભ્ય સંજય કોરડીયા તેમનું સાંભળે અને માર્કેટિંગ યાર્ડમાં ફળોના સંગ્રહ અને હરાજી માટે શેડની વ્યવસ્થા કરે.

બજાર સમિતિની ઈન્સ્પેક્ટરે શું કહ્યું?
આ સમગ્ર મામલે બજાર સમિતિના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરાએ જણાવ્યું કે, માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીના 17,000 બોક્સની આવક નોંધાઈ હતી. અચાનક વરસાદ પડતાં કેરીના કેટલાક બોક્સ પલળી ગયા છે, પણ કેરીને બહુ નુકસાન નથી થયું. શાકભાજી અને ફળ બંને માટે એક શેડ હોવાથી જગ્યા ઓછી પડે છે. નવા શેડ માટેની પ્રક્રિયા ચાલુ છે. જો કે માર્કેટિંગ યાર્ડમાં સફાઈ કર્મીઓ બે દિવસથી હડતાલ પર હોવાથી ગંદકી વધુ હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે. જેથી નવા સફાઈકર્મીઓને બોલાવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular