ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત ઉજવવામાં આવે છે. આ દિવસે સવારે નાહી પરવારીને મહાદેવજીના મંદિરે જવું. શ્રદ્ધાપૂર્વક મહાદેવજીની પૂજા કરીને બિલીપત્રો, ફૂલો અને સાથે કેવડો ચડાવવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. કેવડો સુંઘીને આખો દિવસ વિતાવવો. શિવ- પાર્વતીની વાર્તા સાંભળવી.
કેવડા ત્રીજની વાર્તા
શિવ-પાર્વતી કૈલાસ પર્વત પર બેઠાં હતાં. હસતાં રમતાં વાતો કરતાં હતાં. વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજીએ પૂછ્યું.
“નાથ! તમને પરણવા મેં ઘણાં વ્રતો કર્યા, પણ એમાં ક્યા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપાસિંધુ જગત્પતિને સ્વામીરૂપે મેળવવા ભાગ્યશાળી થઈ?” તે મને જણાવો!

મહાદેવે ઉત્તર આપ્યો –
“દેવી! બાળપણમાં તમારા પિતા હિમાલય તથા માતા મેનાએ ના કહેવાં છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા. મને મેળવવા તમે ઘણું કઠોર તપ આદર્યું હતું. ઘણાં વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકાં પાંદડાં ખાઈને જીવન ટકાવી રાખ્યું હતું. ચોમાસાના મૂશળધાર વરસાદમાં તમે ખુલ્લા આકાશ નીચે રહીને દિવસો વિતાવ્યા હતા. ઉનાળાનો અંગારા વરસતો તાપ તમે હસતે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી!
એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા. એવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું હતું. તમારાં મા-બાપે એ વાત સ્વીકારી લીધી, પણ તમારા હૃદયમાં દુઃખ થયું. તમે સીધા તમારી બહેનપણી પાસે જઈ હૈયાફાટ રૂદન કરી કહેવા લાગ્યાં. કે
‘હે સખી ! હું ભગવાન શિવને મનથી વરી ચૂકી છું, પરંતુ મારા મા-બાપ કોઈ રીતે માનતાં નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે. જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ.’
તમારી સખીએ કહ્યું હતું : ‘બહેન, એવું આપણાથી ન થાય ! આપણે અહીંથી છાનામના ક્યાંક જતા રહીએ.’
આ પ્રમાણે નિશ્ચય કરી, તમે બન્ને ઘરેથી ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં તમે બંને એક ભયંકર વનમાં આવ્યાં. ત્યાં તમે એક સુંદર ઝરણું જોયું. તમને બંનેને તરસ લાગી હતી. એટલે તેમાંથી તમે પાણી પીધું અને નજીકમાં એક ગુફા હતી તેમાં ગયા. ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવીને ભોજન ત્યજી દઈ, મારું પૂજન કર્યું. જાતજાતના વનફૂલો, બીલીપત્રો અને કેવડો મને ચડાવ્યો. એ દિવસે ભાદરવા મહિનાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું.
તમારા એ દિવસના વ્રતથી હું ખૂબ જ પ્રસન્ન થયો અને મેં તમને વરદાન માગવા કહ્યું. તમે બોલ્યાં : ‘દેવાધિદેવ ! જો તમે પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ.’
મેં તમારી વાત સ્વીકારી, એ પછી જ તમે બીજે દિવસે નદીમાં સ્નાન કરીને તમારી સખી સાથે પારણાં કર્યા.
થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાયેલી હતી.
એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયાં. થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યાં.
તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા. શોધતાં શોધતાં તેઓ તમે બંને સુતા હતા ત્યાં આવી પહોંચ્યા અને તમને બંનેને જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો હતો. તેમણે તમને ધીમેથી જગાડયાં અને પૂછ્યું- ‘બેટી ! આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડયું ? ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે !’ અને તમે કહ્યું હતું કે ‘પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું. જો મારું લગ્ન તેમની સાથે નહિ કરો તો હું અહીં જ મારા પ્રાણ ત્યજી દઈશ !
તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ પણ તમારી વાત સ્વીકારી લીધી. તેઓ તમને ઘરે લઈ ગયા અને તમારા મારી સાથે લગ્ન કર્યા.
‘હે દેવી ! તમારા આ વ્રતના પ્રભાવથી જ આપણા બંનેના વિવાહ થયા છે. આ આ વ્રતને હરિતાલિકા વ્રત પણ કહેવામાં આવે છે. – (હરિત+અલિકા એટલે સખીઓ વડે હરણ કરાયેલાં ) એ દિવસે એક રીતે કહીએ તો તમારી સખીએ તમારું હરણ કર્યું હતું. વળી કેટલાક આ વ્રતને કેવડા ત્રીજ પણ કહે છે. કારણ કે તમોએ પુષ્પો સાથે મને કેવડો પણ ચડાવ્યો હતો. આમ તો કેવડો મને ચડતો નથી, છતાં તમે સ્નેહનાં આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો, એટલે એ દિવસે મેં તેનો સ્વીકાર કર્યો હતો.

આમ આ કેવડા ત્રીજના દિવસે જે કોઈ મારું કેવડા સહિત પૂજન કરે છે, તે મને પ્રિય લાગે છે. આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે. અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે.