Homeગુજરાતડોક્ટરની સલાહ બાદ ગર્ભપાત કરાવતાં સગર્ભા મહિલાનું મોત; નિષ્ઠા હોસ્પિટલના તબીબ સામે...

ડોક્ટરની સલાહ બાદ ગર્ભપાત કરાવતાં સગર્ભા મહિલાનું મોત; નિષ્ઠા હોસ્પિટલના તબીબ સામે બેદરકારીનો આક્ષેપ  

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની નિષ્ઠા હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે સગર્ભા મહિલાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીં એક સગર્ભા મહિલાને દાખલ કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન મહિલાની તબિયત બગડતાં સુરેન્દ્રનગર લઈ જવામાં આવી જ્યાં તબીબોએ મૃત જાહેર કરી.

લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં રહેતા પુરીબેન સગર્ભા હોઈ તેમના ગર્ભપાત માટે લીંબડીની નિષ્ઠા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા ગર્ભપાતનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ દરમિયાન પુરીબહેનની તબિયત લથડતાં તેને સુરેન્દ્રનગર લઈ જવા પડ્યા. પરંતુ સુરેન્દ્રનગરના તબીબે તેને મૃત જાહેર કરતા મહિલાના પરિવારજનો રોષે ભરાયા. નિષ્ઠા હોસ્પિટલના ડોક્ટર દીપેન પટેલની બેદરકારીને કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોનું કહેવું છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. મહિલાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો – મગરે કાચબાને મોં મા મૂકી ખાવાનો કર્યો પ્રયાસ; શું થયું પછી જુઓ વીડિયો

મૃત્યુ પામનાર મહિલાના પતિ ભરતભાઈના કહેવા પ્રમાણે તેઓ છૂટક મજૂરી કામ કરે છે. સંતાનમાં એક નવ મહિનાનો દીકરો છે અને પત્નીને પાંચ મહિનાનો ગર્ભ હતો. જેનું રૂટિન ચેકઅપ તેઓ લીંબડીની હોસ્પિટલમાં કરાવતા હતા. ચેકઅપ દરમિયાન મહિલાને લોહીની ટકાવારી ઓછી હોવાનું ડોક્ટરે કહેતા લીંબડીની સરકારી હોસ્પિટલમાં મહિલાને બ્લડ ચડાવવામાં આવતું હતું, જે બાદ લોહીની ટકાવારીમાં સુધારો થયો હતો. તેઓ તેમની પત્નીને લીંબડીની નિષ્ઠા હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા, જ્યાંથી તેમને સોનોગ્રાફી કરવા માટેનું કહેવામાં આવતા તેમણે સુરેન્દ્રનગરની ક્રિષ્ના ઈમેજીનમાં સોનોગ્રાફી કરાવી હતી.

રિપોર્ટ જોયા બાદ નિષ્ઠા હોસ્પિટલના તબીબ ડો.દીપેન પટેલે કોથળીમાંથી બાળક અલગ પડી ગયું હોવાનું અને તેને કારણે બાળકનો વિકાસ નહીં થઈ શકે તેમ હોવાથી ગર્ભપાત કરીને માતાનો જીવ બચાવવાનું કહેવામાં આવ્યું હતું. ડોક્ટરના કહેવા મુજબ પુરીબહેનને બે દિવસ પછી ગર્ભપાત કરાવવા માટે દાખલ કરવામાં આવી હતી. ઓપરેશનમાં અંદર લઇ ગયા બાદ થોડી વાર પછી ડોકટરે કહ્યું કે, પુરીબહેનની સ્થિતિ ગંભીર છે શ્વાસ લઈ શકતા નથી તેથી તાત્કાલિક સુરેદ્રનગર લઇ જવા પડશે. જેને લઈને પુરીબહેનને એમ્બ્યુલન્સમાં સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ લઈ જવાયા. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના આક્ષેપોને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular