MEHSANA – રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક એક પરિવારે જીવન ટૂંકાવી લીધું છે. વ્યાજખોરોના ત્રાસને કારણે વહાલસોયા દીકરા સાથે પતિ-પત્નીએ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી.
શંખેશ્વરમાં છેલ્લા દસેક વર્ષથી રહેતા ધર્મેશ પંચાલ, તેમના પત્ની ઉર્મિલા પંચાલે નાનકડા દીકરા પ્રકાશને સાથે રાખીને કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું. કડીમાંથી પસાર થતી કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામે આવેલી વિગતો પ્રમાણે ધર્મેશ પંચાલે કારખાનામાં ખોટ જતા વ્યાજે રૂપિયા લીધા હતા. અને ત્યાર પછી વ્યાજખોરો રૂપિયાની વસૂલાત માટે ધમકી આપતા હતા. ધમકીથી કંટાળી ગયેલા ધર્મેશભાઈએ દીકરા અને પત્નીને સાથે લઈને કેનાલમાં પડતું મૂક્યું. જે બાદ તેમના ત્રણેયનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા.
વ્યાજખોરોના ત્રાસને કારણે ભર્યું પગલું
વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની અને દીકરાનો કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા કેનાલ નજીક તેમની કાર પડી હતી. જે કારમાં તલાશી લેવામાં આવતા કારમાંથી સ્યૂસાઈડ નોટ અને મોબાઈલ મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલું ભર્યાનો ધર્મેશભાઈએ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

મૃતકના પિતાએ શું કહ્યું?
મૃતક ધર્મેશભાઈના પિતા ખેતાભાઈ પંચાલે જણાવ્યું કે, તેમનો દીકરો, પુત્રવધુ અને પૌત્ર – ત્રણેય જણા દસ વર્ષથી શંખેશ્વરમાં રહેતા હતા. ફેબ્રિકેશનના કારખાનામાં ખોટ ગઈ હોવાથી તેમણે વ્યાજે પૈસા લીધા હતા. ત્યારબાદ વ્યાજખોરો ધાક ધમકી આપવા લાગ્યા હતા. જેને કારણે કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યાનું ખેતાભાઈએ જણાવ્યું. વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તેમણે માગ કરી છે.
સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું?
ધર્મેશ પંચાલે આપઘાત કરતા પહેલાં સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું છે કે – મારે જીવવાની ઘણી ઈચ્છા હતી પરંતુ કેટલાક લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી. એ લોકોએ મારો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા. મને સતત મને સતત ટોર્ચર કરતા હોવાથી મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું મરવા જાવ છું આ પત્ર જ્યારે તમને મળશે ત્યારે કદાચ હું દુનિયા છોડી ચૂક્યો હોઈશ. મારી સરકારને અપીલ છે કે મારી સાથે થયું તે બીજા કોઈ સાથે ન થાય.

પત્નીને છેલ્લા રામ…રામ… લખ્યા
ધર્મેશ પંચાલે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે ઉર્મિલા! અત્યાર સુધી તે મને સપોર્ટ કર્યો છે, પણ હું જ તારો સાથ નિભાવી ના શક્યો. હું તારા પર છોકરાની જવાબદારી મુકતો જાવ છું. જો તું એને ન રાખી શકે તો અનાથાશ્રમમાં મૂકી આવજે. આપણા છોકરાને શીખવાડજે કે તે કોઈના પર વિશ્વાસ ન કરે. હું તમને અડધે રસ્તે મૂકીને જાવ છું તો મને માફ કરજે. મારા છેલ્લા રામ… રામ……