મા આદ્યશક્તિની આરાધનાના અવસર એવા નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પ્રથમ દિવસે માઈભક્તો ઘરે ઘટ સ્થાપન કરી અખંડ દીપ પ્રગટાવતા હોય છે. શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમના દિવસે સારું મૂહુર્ત જોઈને આ ઘટ સ્થાપન કરવામાં આવતું હોય છે. ઘટ સ્થાપન ક્યારે કરવું તેની વાત કરીએ તો ગુરુવારે સવારે 6 વાગ્યાને 36 મિનિટથી 8 વાગ્યાને 5 મિનિટ સુધી, બપોરે 11 વાગ્યાને 2 મિનિટ થી 3 વાગ્યાને 28 મિનિટ સુધી તથા સાંજે 4 વાગ્યાને 57 મિનિટ થી થી 6 વાગ્યાને 25 મિનિટ સુધી ઘટ સ્થાપન કરી શકાશે. તેમાં પણ બપોરે 12 વાગ્યાને 07 મિનિટ થી 12 વાગ્યાને 54 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત હોય આ સમયમાં ઘટ સ્થાપન કરવું વધુ ઉત્તમ ગણાય છે.

નવરાત્રીના તહેવારમાં મા આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન માતાજીના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. 9 દિવસ સુધી માતાજીની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતાજી ભક્તોના દુઃખો દૂર કરે છે. નવરાત્રીમાં માઈભક્તો ઘરમાં ગરબાનું પણ સ્થાપન કરે છે અને તેમાં દીવો પ્રગટાવે છે. ગરબાનો અર્થ ગર્ભદીપ થાય છે. જેમાં ગર્ભ એ નાની માટલી અને દીપ અંબે માંની જ્યોતનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી રીતે વિચારીએ તો આ ગરબો એ સમગ્ર બ્રહ્માંડનું રૂપ છે અને તેમાં પ્રગટાવવામાં આવતી જ્યોત એ મા આદ્યશક્તિનું રૂપ છે. જેમાં દીવા થકી ગરબો પ્રકાશિત થાય છે અને તેના કાણામાંથી બહાર પણ પ્રકાશ આવે છે તેમ આ સમગ્ર બ્રહ્માંડ પણ માતાજીના તેજથી શોભે છે. જો દીવાનો પ્રકાશ ના હોય તો જેમ અંધકાર ફેલાય જાય છે તેમ બ્રહ્માંડમાં પણ આદ્યશક્તિનું પરમ તેજ ના હોય તો બ્રહ્માંડ પણ નિશ્ચેતન બની જાય છે.
