નવસારીના દાંડીમાં દરિયાકાંઠે ફરવા ગયેલા પરિવારના ત્રણ સભ્યો માટે રવિવારની રજા મોતની સજા બની ગઈ. રવિવારની રજા હોવાથી અને ગરમીનું પ્રમાણ વધુ હોવાથી નવસારી ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ દાંડીના દરિયાકિનારે ફરવા માટે આવ્યા હતા. જેમાં નવસારીના ખડસૂપામાં રહેતા સુશીલાબહેન પણ પોતાને ત્યાં રાજસ્થાનથી આવેલા મહેમાનોને લઈને દાંડી ફરવા આવ્યા હતા.

સહેલાણીઓ દરિયાકાંઠે મજા માણી રહ્યા હતા એ દરમિયાન બપોરના સમયે અચાનક સાત જેટલા લોકો દરિયાના પાણીમાં ગરકાવ થવા લાગ્યા. સહેલાણીઓના દરિયાના પાણીમાં ડૂબી ગયાની ઘટના અંગે જાણ કરવામાં આવતા જલાલપોર પોલીસ તાત્કાલિક દરિયા કાંઠે દોડી આવી અને સલામતીના ભાગરૂપે અન્ય સહેલાણીઓને દરિયાકિનારેથી દૂર કર્યા.
દરિયામાં ગરકાવ 7 પૈકી ત્રણને બચાવાયા
7 જેટલા લોકો દરિયામાં ગરકાવ થયા હતા જે પૈકી બે પરિવારના વિપુલ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ લોકોને પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાને બચાવી લીધા. જ્યારે સુશીલાબહેન અને તેમની સાથે આવેલા ત્રણ બાળકો નહોતા મળ્યા. જેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘણી શોધખોળ અને ભારે જહેમત બાદ લાપતા ચારેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

લાપતા લોકોને શોધવા માટે મરીન વિભાગના કમાન્ડો અને ફાયર વિભાગના જવાનો દ્વારા આખી રાત શોધખોળ કરવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે પહેલાં બે લોકોના અને બાદમાં અન્ય બે લોકોના મૃતદેહ મળી આવ્યા. સવારના સમયે યુવરાજ અને સુશીલાબહેનનો મૃતદેહ મળી આવ્યાં બાદ દેશરાજ અને દુર્ગાના પણ મૃતદેહ મળી આવ્યા હતા. એકસાથે ચાર લોકોના મૃત્યુને લઈને દાંડીમાં ગમગીની છવાઈ ગઈ છે.
સાવચેતીનું બોર્ડ લગાવવા સ્થાનિકોની માગ
ઘટના અંગે સ્થાનિકોનું કહેવું છે કે અત્યારે દરિયામાં મોટી મોટી ભરતી આવે છે. દરિયાકાંઠે ફરતા લોકોને ભરતીના પાણી અંગે ખ્યાલ નથી આવતો અને જો મોટી ભરતીમાંથી જે બહાર ન આવી શકે તો દરિયાના પાણીમાં ગરકાવ થવાની સંભાવના વધી જાય છે. આવી ભરતીના પાણીને કારણે સુશીલાબહેન અને અન્ય બાળકોના મોત થયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોનું કહેવું છે કે સરકારે અહીં બોર્ડ લગાવીને સૂચના મૂકવી જોઈએ કે કોઈ વ્યક્તિ દરિયાના પાણી તરફ વધુ આગળ ન જાય.