Homeગુજરાતઓખાથી બેટદ્વારકા વચ્ચેના પુલમાં ઊખડી ગયા પોપડા, દેખાવા લાગ્યા સળિયા;

ઓખાથી બેટદ્વારકા વચ્ચેના પુલમાં ઊખડી ગયા પોપડા, દેખાવા લાગ્યા સળિયા;

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા મહિનાઓ પહેલાં ઉદ્ઘાટન કરાયેલા સુદર્શન સેતુ– સિગ્નેચર બ્રિજના નિર્માણમાં ઈસનપુરના પુલની જેમ ભ્રષ્ટાચાર થયાની ચર્ચાઓ થઈ રહી છે. ઉદ્ઘાટનના પાંચ મહિનામાં જ બ્રિજમાં પોપડાં ઊખડી ગયાં છે. અને સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 978 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજમાં જુદી જુદી ત્રણ જગ્યાએ સળિયા દેખાવા લાગ્યા છે. કેટલીક જગ્યાએ દીવાલનું પ્લાસ્ટર પણ ઊખડી ગયેલું જોવા મળી રહ્યું છે. અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગી ગયો છે. જેની તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કલેક્ટરથી લઈને સાંસદ સુધી દોડતા થઈ ગયા છે. મામલો સામે આવતા તંત્ર દ્વારા તાબડતોબ થીગડાં મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આ ભાજપનું ગુજરાત મોડલ છે. આ લોકોએ દેવસ્થાનોમાં એટલી ભ્રષ્ટાચારની કામગીરી કરી છે કે ભગવાન ખુદ નારાજ છે. અયોધ્યામાં ભગવાન રામ નારાજ થયા છે, બદ્રીનાથમાં શિવજી નારાજ થયા છે. સોમનાથમાંથી ભાજપને વિદાય આપી દીધી અને હવે દ્વારકાનો વારો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે છે, ત્યાર બાદ પાંચ મહિનામાં એ બ્રિજ પર ખાડા પડી જાય છે. આ ઘટના બની એટલે લોકો પર ખતરો વધી ગયો છે, વાહનો પણ એ બ્રિજ પરથી પસાર થાય છે અને નીચે દરિયો છે. હવે ભાજપ પર કોઈને ભરોસો નથી. આ બ્રિજ મોરબી જેવો નહીં બને એની શું ગેરંટી? એટલે લોકોમાં પણ ફફડાટ છે. હું ED અને CBIને પણ વિનંતી કરું છું કે આવો અને તપાસ કરો.

આ તરફ જામનગરનાં સાંસદ પૂનમ માડમે કહ્યું કે તેઓ દિલ્હીમાં સંસદ સત્રમાં છે. છતાં કલેક્ટર સાથે સંપર્કમાં છે અને કલેક્ટરને આ વાત કરી દીધી છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જી. ટી. પંડ્યાએ કહ્યું કે ‘સિગ્નેચર બ્રિજ પર કામ કરવાનું કહ્યું છે અને રિપોર્ટ પણ મગાવ્યો છે. આ બ્રિજનું કામ સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. એટલે આ અંગે સેન્ટ્રલ એજન્સીને જ ખ્યાલ હોય. તેમણે જણાવ્યું કે પ્રાથમિક માહિતી પ્રમાણે 3 જગ્યાએ પોપડા ઊખડી ગયા હતા. જો કે આ પોપડા ઊખડવાની ઘટનાને તેમણે નાનું ડેમેજ ગણાવતા કહ્યું કે તેને કારણે બ્રિજ બંધ નહોતો રહ્યો. પોપડાં શા કારણે ઊખડી ગયા તેનો રિપોર્ટ આવશે એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. અને કેન્દ્ર સરકાર જ તેના પર કાર્યવાહી કરી શકે.

ઉલ્લેખનીય છે કે હરિયાણાની એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ ઓખા-બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો. આ એ જ કંપની છે જેણે બિહારના ભાગલપુરમાં બ્રિજ બનાવ્યો હતો અને એ બ્રિજ જૂન 2023માં ધરાશાયી થયો હતો. એ વખતે બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠ્યા હતા. એવી પણ માગ ઊઠી હતી કે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે ચકાસણી કરાવવી જોઈએ. આ જ એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપની ડભોઇ-સિનોર-માલસર રોડ, નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે. ત્યારે એ બ્રિજનું કામ કેટલું ગુણવત્તા વાળું હશે તે પણ સવાલ છે.

મહત્વનું છે કે બેટ દ્વારકા ખાતે દર વર્ષે ભારતભરમાંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પોલ પહેલાં ચોમાસામાં જ ખુલી ગઈ છે.

RELATED ARTICLES

Most Popular