બુધવારે સાંજે પાટણની સરસ્વતી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતી વખતે એક જ પરિવારના સાત સભ્યો ડૂબી ગયા હતા. જેમાંથી ત્રણ સભ્યોને બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. એક સાથે ચાર લોકોના મૃત્યુથી આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના લોકોએ ઘરમાં ગણેશજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. જે બાદ બુધવારે તેઓ મૂર્તિનું વિસર્જન કરવા માટે સરસ્વતી નદી પહોંચ્યા હતા. જ્યાં નદીમાં ડૂબવા લાગ્યા હતા. તરવૈયાઓએ 7 પૈકી ત્રણ સભ્યોને તો બચાવી લીધા પરંતુ ચાર સભ્યોને ન બચાવી શકાયા. જેમાં એક મહિલા, તેના બે પુત્રો અને મહિલાના ભાઈનું મૃત્યુ થયું છે.
એક સાથે 4 લોકોની નીકળી અંતિમયાત્રા
શોધખોળ દરમિયાન પહેલાં એક સભ્યનો અને બાદમાં અન્ય ત્રણ સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા. જે બાદ આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. વેરાઈ ચકલા વિસ્તારમાં નીતિશભાઈ પ્રજાપતિ,તેમનાં પત્ની અને બે પુત્રો રહેતાં હતાં. બુધવારે બનેલી દુર્ઘટનામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.

ગણેશ વિસર્જન સમયે બની ઘટના
નીતિશભાઈએ પોતાના ઘરમાં ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી હતી. 5 દિવસ સુધી બાપ્પાનું ભજન કીર્તન કરીને પૂજા કરી હતી. જે બાદ બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે મૂર્તિનું વિસર્જન કરવા માટે પરિવારજનો નદી પર આવ્યા હતા. જ્યાં પહેલાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક એમ બીજા 6 લોકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. જે પૈકી ત્રણને બચાવી લેવાયા. પરંતુ પત્ની શીતલબેન, બે પુત્રો જિમિત અને દક્ષ અને સાળો નયન પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા.તરવૈયાઓએ ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. તમામના પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવી હતી.

નીતિશભાઈના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન એકસાથે સાથે ચાર લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
