ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનો એક વીડિયો હાલ ચર્ચામાં છે. મુળી તાલુકાના ગઢડા ગામમાં કોઈ પ્રસંગમાં તેઓ ગયા હતા. જ્યાં કેટલાક સ્થાનિકો સાથે તેમની બેઠક થઈ અને આ દરમિયાન તેમણે કહેલી વાતનો વીડિયો વાયરલ થયો છે.
તેમણે એવું કહ્યું કે ‘…..200 નહીં પણ 500 બંધાણીઓ ભેગા થઈને એમ કહી દે કે જિલ્લામાં એક પણ ધારાસભ્યને જીતવા નહીં દઈએ જો અમને લાયસન્સ નહીં મળે…’
15 સેકન્ડનો આ વીડિયો વાયરલ થતાં ધારાસભ્ય શામજી ચૌહાણ ચર્ચામાં આવી ગયા છે. પોસડોડાના લાયસન્સ રિન્યૂ કરાવવા માટે તેમણે સરકાર સામે જ બંધાણીઓને બાંયો ચડાવવાની સલાહ આપી દીધી. આ વીડિયો અંગે નમસ્તે ગુજરાતની ટીમે જ્યારે શામજી ચૌહાણનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે આ વીડિયો અધૂરો છે અને તેમને બદનામ કરવા કોઈ હિતશત્રુએ વાયરલ કર્યો છે.

તેમણે કહ્યું કે મુળી તાલુકાના ગઢડા ગામે એક ધાર્મિક પ્રસંગમાં યોજાયેલા મેળાવડામાં તેઓ ગયા હતા. જ્યાં લોકોએ તેમને પોસડોડાના લાયસન્સ રિન્યૂ કરાવવા માટે રજૂઆત કરી. અને તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે તેમણે જે કહ્યું તેનો થોડોક ભાગ કટ કરી શોર્ટ બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે. વિપક્ષ અથવા તો કોઈ હિતશત્રુએ આ કૃત્ય કર્યાની તેમને આશંકા છે.

વધુમાં તેમણે કહ્યું કે પ્રજાના કામ કરતા પ્રતિનિધિથી કેટલાક લોકોને ઈર્ષ્યા થતી હોય છે અને વર્ષો સુધી આ વ્યક્તિ ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે તો કોઈ બીજાની ગોઠવણ નહીં થઈ શકે..કોઈ બીજાની ગોઠવણ કરાવવા માગતા કોઈ વ્યક્તિએ તેમને નુકસાન પહોંચાડવા આ વીડિયો વાયરલ કર્યાનું તેમનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં ભાજપના જ બે મોટા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ખેંચતાણનો રાજકીય લાભ ખાટવાના હેતુસર ભાજપના જ કોઈ ‘હિતેચ્છુ’ એ ચોટીલાના ધારાસભ્યને વેતરી નાખવા માટે તેમના નિવેદનને શોર્ટ કરીને ઈરાદાપૂર્વક સોશિયલ મીડિયામાં ફરતું કર્યાનું માનવામાં આવી રહ્યું છે.
પોસડોડાના બંધાણીઓને લાયસન્સ મળે કે ન મળે, પરંતુ ધારાસભ્યએ કરેલી વાતની ફરતા થયેલા શોર્ટ વીડિયોથી સમગ્ર ઝાલાવાડનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ ઘટના પછી ધારાસભ્ય શામજી ચૌહાણના રાજકીય “હિતશત્રુ”ઓ મૂછમાં મલકાઇ રહ્યા છે.