રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની સંપત્તિને લઈને તપાસ કરવામાં આવતા મોટા ખુલાસા થયા છે. મહિને 70 હજારના પગારદાર સાગઠીયાની કુલ સંપતિ 10 કરોડ કરતાં પણ વધુની હોવાનું સામે આવ્યું છે. એટલે તેણે પોતાની નોકરી દરમિયાન કેટલો ભ્રષ્ટાચાર આચર્યો હશે એ આપણે વિચારી શકીએ છીએ. ACBએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મહાઠગ પાસે આવક કરતા 410 ટકા વધુ સંપત્તિ છે.
ACBએ મનસુખ સાગઠિયાની અલગ અલગ જગ્યાએ જઈને વર્ષ 2012થી 2024 સુધીમાં સાગઠિયાએ વસાવેલી મિલકતોની તપાસ કરવામાં આવી. જેમાં દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાની વિગતો, સરકારી કચેરીના દસ્તાવેજો, સાગઠિયાના નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવતા સાગઠીયા પાસે 10 કરોડથી વધુની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાગઠીયા અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં 2 ફલેટ, રાજકોટની અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રકશન બંગલો, માધાપર ખાતેની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, રાજકોટના સોખડામાં એક પેટ્રોલપંપ અને 3 ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં એક ગેસ ગોડાઉન, પડધરીના બાલાજી ગ્રીનપાર્કમાં એક પ્લોટ, ગોંડલના ગોમટામાં એક પેટ્રોલપંપ, અંડર કન્સ્ટ્રકશન હોટલ,
એક ફાર્મ હાઉસ અને કરોડો રૂપિયાની ખેતીની જમીન ધરાવે છે. ઉપરાંત 2 હોન્ડા સિટી કાર સહિત કુલ 6 વાહનનો માલિક છે. એટલું જ નહીં પણ સરકારી કામ કરવાના બદલામાં લોકો પાસેથી ઉઘરાવેલા પૈસાથી સાગઠીયા દુબઈ, સાઉથ આફ્રીકા, ઓસ્ટ્રેલીયા, ઇંગ્લેન્ડ, યુરોપ, સહિત અનેક દેશોમાં જલસા કરી આવ્યો છે.

આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે સાગઠિયાના બેન્ક સ્ટેટમેન્ટમાં બિલ્ડરો સાથે મોટી મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી ACBને મળી છે. અને આ એવા બિલ્ડરો છે, જેઓ પહેલા સરકારી અધિકારી હતા અને નિવૃતિ બાદ બિલ્ડર બની બેઠા છે. એટલે આવા બિલ્ડર અને સાગઠિયાની સાંઠગાંઠની તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. અને એ નિવૃત્ત અધિકારીઓના કારનામા અને તેમની સાથે કોઈ મોટા નેતાની સંડોવણી પણ સામે આવી શકે છે. પણ સવાલ એ છે કે એટલે સુધી તપાસ થશે ખરી?