RAJKOT NEWS:રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા સાતમ આઠમના મેળાનો 24 ઓગસ્ટથી પ્રારંભ થયો છે. જો કે આ વખતે મેળો ફિક્કો લાગી રહ્યો છે આવું નિવેદન નેતાઓએ આપ્યું છે. કારણ કે રાજકોટના મેળાના ઈતિહાસમાં પ્રથમ વખત યાંત્રિક રાઇડ્સ વગર લોકમેળો યોજાઈ રહ્યો છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા રિબિન કાપીને ધરોહર લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો.

મેળો ફીકો લાગી રહ્યો છે
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, લોકમેળો એ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોનો મેળો છે. સૌરાષ્ટ્રભરના લોકો રાજકોટના લોકમેળામાં આવતા હોય છે. યાંત્રિક રાઇડ્સ વગર લોકમેળો ફિક્કો લાગી રહ્યો છે. યાંત્રિક રાઇડ્સ હોવી જોઈએ પણ કોર્ટ જે કહે તે ચુકાદાનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો – વરસાદ બગાડી શકે છે સાતમ આઠમનો તહેવાર
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાએ યાંત્રિક રાઇડ્સ અંગે કહ્યું કે નિયમોનું પાલન થવું જોઈએ. નિયમો કડક હોય તો તેમાં બદલાવ કરી શકાય ફેરફાર પણ કરી શકાય. બીજા લોકો નિયમ તોડે તો આપણે પણ નિયમ તોડવા એવું જરૂરી નથી.

યાંત્રિક રાઇડ્સ અંગે વહીવટી તંત્રને સૂચન
મેળાને ખુલ્લો મૂકતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું કે, મેળામાં નીતિ-નિયમોનું પાલન થવું જોઈએ. રાઇડ્સ સંચાલકો નિયમ મુજબ ચાલશે તો રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે. વહીવટી તંત્ર સાથે આ અંગે ચર્ચા કરીને યાંત્રિક રાઇડ્સ શરૂ કરવા માટે રાજકોટના વહીવટી તંત્રને રાઘવજી પટેલ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે.
પરંતુ સવાલ એ છે કે મંજૂરી ક્યારે આપવામાં આવશે. કારણ કે મેળાનો એક દિવસ પૂરો થઈ ગયો છે. અને આ મેળો પાંચ દિવસ માટેનો જ હોય છે.

ફિક્કા મેળાથી લોકો પણ નિરુત્સાહ
પ્રથમ દિવસે મેળામાં લોકોની પંખી હાજરી જોવા મળી હતી. જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેમણે પણ કહ્યું કે વર્ષોથી તેઓ લોકમેળાની મજા માણવા આવે છે. પણ આ વખતે મેળાની સાચી મજા માણી નહિ શકીએ. લોકોએ જણાાવ્યું કે લોકમેળામાં આવીને તેઓ આઈસ્ક્રીમ સહિત વાનગીઓ આરોગે છે. બધી જ રાઇડ્સની મજા માણતા હોય છે. રાઈડસમાં બેસવાની મજા જ અલગ છે. એ હવે આ વખતે દેખાતી નથી.
8 રસ્તાઓ પર નો એન્ટ્રી અને નો પાર્કિંગ
મેળાને કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 8 રસ્તાઓ પર નો એન્ટ્રી અને નો પાર્કિંગ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેમાં જિલ્લા પંચાયત ચોકથી જૂના NCC ચોક સુધી, ટ્રાફિક શાખાથી હેડ ક્વાર્ટર સુધી, આઈ.બી. ઓફ્સિથી રૂરલ એસ.પી. બંગલા સુધી, સૂરજ-1 એપાર્ટમેન્ટથી મેળાના મુખ્ય દરવાજા સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી વાહનોને નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેર કરાયુ છે.

CCTV કેમેરાથી રખાશે બાજ નજર
મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વરા સિવિલ ડ્રેસમાં બંદોબસ્ત રાખવામાં આવશે. સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો તહેનાત કરવામાં આવશે. ઉપરાંત 11 વોચ ટાવર, 65 જેટલા સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. જેના દ્વારા પણ મેળામાં આવતા જતા લોકો પર નજર રાખવામાં આવશે. મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ, 81 પીએસઆઈ, 1067 પોલીસ કોન્સ્ટેબલ અને 77 એસઆરપી જવાનો ઉપરાંત 125 જેટલા ખાનગી સુરક્ષા કર્મીઓ પણ તહેનાત રહેશે. રાત્રિના 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ સુરક્ષાને લઈ આકરું વલણ અપનાવ્યું છે. જન્માષ્ટમીના તહેવારોમાં જુદી જુદી જગ્યાએ યોજાતા લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOP જાહેર કરી છે. આ SOPને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા કોઈ બાંધછોડ કરવામાં નથી આવી રહી. જેને લઈને સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. આ SOP મામલે લોકમેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો SOPમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જે અંગે પ્રથમ સુનાવણી થઇ હતી. જો કે કોર્ટે પણ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાની મનાઈ કરી દીધી હતી. આ અંગે વધુ સુનાવણી આગામી 27મીએ થવાની છે. અને ત્યાં સુધીમાં મેળાના ચાર દિવસ પૂરા થઈ ગયા હશે..