Homeધર્મસર્વ પિતૃ અમાસ પર જ સૂર્ય ગ્રહણ; શ્રાદ્ધ, તર્પણ ક્યારે કરવા? જાણી...

સર્વ પિતૃ અમાસ પર જ સૂર્ય ગ્રહણ; શ્રાદ્ધ, તર્પણ ક્યારે કરવા? જાણી લો સમય

ભાદરવા વદ પૂનમથી અમાસ સુધીના 16 દિવસો શ્રાદ્ધના દિવસો ગણાય છે. આ 16 દિવસોમાં તિથિ પ્રમાણે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.જો કોઈ પિતૃની તિથિ યાદ ન હોય અથવા તિથિ પ્રમાણે શ્રાદ્ધ ના થઈ શકે તેમ હોય તો તેમનું શ્રાદ્ધ પણ ભાદરવા વદ અમાસના દિવસે કરવામાં આવે છે. તેથી જ આ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે.  

આ વખતે 2 ઓક્ટોબરે ગાંધીજયંતીના દિવસે સર્વ પિતૃ અમાસ આવી રહી છે અને આ દિવસે સૂર્ય ગ્રહણ પણ થઈ રહ્યું છે. જો કે આ સૂર્ય ગ્રહણ દેખાવાનું ન હોય તેનું સૂતક નહીં લાગે. પરંતુ સૂર્ય ગ્રહણને કારણે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાન ક્યારે કરવું તેને લઈને મૂંઝવણ છે.

જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે પિતૃપક્ષ દરમિયાન બપોરના સમયે પૂર્વજોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ વખતે અમાસના દિવસે શ્રાદ્ધ અથવા પિંડદાન કરવાનું સારું મુહૂર્ત બપોરના 1 વાગ્યાને 21 મિનિટથી લઈને 3 વાગ્યાને 43 મિનિટ સુધીનું છે. આ સમયમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું ઉત્તમ રહેશે.

વ્યક્તિ પોતાની જાતે આ રીતે કરી શકે તર્પણ
જો વ્યક્તિ બહાર કોઈ બ્રાહ્મણ પાસે શ્રાદ્ધ કે તર્પણ કરાવવા ન ઈચ્છતી હોય અને પોતે જાતે ઘરે તર્પણ કરવા ઈચ્છતી હોય તો તે પોતાની જાતે ઘરે પણ તર્પણ કરી શકે છે. આના માટે વ્યક્તિએ સવારે વહેલા ઊઠી સ્નાનાદિ કર્મથી પરવારી પૂર્વજોની તૃપ્તિ માટે દાન અને શ્રાદ્ધનો સંકલ્પ કરવો. ત્યાર બાદ સૂર્ય નારાયણને અર્ઘ્ય આપીને કુળ દેવતા અને ઈષ્ટદેવતાની પૂજા કરવી.

બપોરે 12 વાગ્યે દક્ષિણ દિશા તરફ મોં રાખીને જમીન પર આસન પાથરી પલાઠી વાળી બેસી જવું. ત્યાર બાદ તાંબાના લોટામાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, સફેદ ફૂલ, પાણી અને ગંગાજળ ઉમેરવું. પછી દુર્વા હાથમાં રાખવી અને બંને હાથમાં પાણી લઇ અંગૂઠા વડે જળ અર્પણ કરવું.

આમ 11 વખત કરવું. તર્પણ કરતી વખતે મનમાં પિતૃઓનું ધ્યાન ધરવું. ત્યાર બાદ પિતૃઓને ભોગ ધરાવવો. કોઈ પાત્રમાં ગાયના છાણનો ધૂપ સળગાવી ધૂપમાં ગોળ, ઘી, ખીર-રોટલી અર્પણ કરવા. ભોગ અર્પણ કર્યા બાદ હાથમાં જળ લઈ પિતૃઓને અંગૂઠા દ્વારા જળ અર્પણ કરવું. ત્યારબાદ પંચ બલિ ભોગ એટલે કે ગાય,શ્વાન, કાગડા, કીડી અને દેવતાઓ માટે અલગ ભોજન કાઢવું અને તેમને પણ જમાડવા. પંચ બલિમાં દેવતાઓ, પૂર્વજો, આત્માઓ, મનુષ્યો અને બ્રાહ્મણોનો સમાવેશ થાય છે. છેલ્લે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું અને ભોજન કરાવવું. આમ વ્યક્તિ પોતાની જાતે પણ તર્પણ કાર્ય કરી શકે છે. પરંતુ આવું કર્મ જાણકાર બ્રાહ્મણો પાસે કરાવવું ઉત્તમ ગણાય છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે કરેલા શ્રાદ્ધ કર્મથી પિતૃઓ તૃપ્ત થતાં તેમના આશીર્વાદ મળતા હોવાનું માનવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular