Homeગુજરાતપક્ષપલટા માટે જાણીતા શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે મુલાકાત; ગુજરાતની...

પક્ષપલટા માટે જાણીતા શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે બંધ બારણે મુલાકાત; ગુજરાતની રાજનીતિમાં ફેરફારના સંકેત?

ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થવાના એંધાણ વર્તાય રહ્યા છે. :પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બંધ બારણે બેઠક યોજી. આ બેઠક આશરે 25 મિનિટ સુધી ચાલી હતી. ઘણા લાંબા સમય બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી અને એ પણ બંધ બારણે. ગાંધીનગરમાં સર્કિટ હાઉસના પહેલા માળે સોમવારે રાત્રે 9 વાગ્યે આ બેઠક યોજાઈ હતી અને 9 વાગ્યાને 25 મિનિટે બેઠક પૂર્ણ થઈ હતી.
અચાનક યોજાયેલી આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાની ચર્ચાઓ થવા લાગી છે. જો કે શંકરસિંહ વાઘેલાએ આ બેઠક અંગે કહ્યું કે આ માત્ર સૌજન્ય મુલાકાત હતી.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, રક્ષાબંધનને કારણે તેઓ ગાંધીનગરના સર્કિટ હાઉસ ગયા હતા અને એ સમયે અમિત શાહનો કાફલો ત્યાં આવ્યો. અમિત શાહે સર્કિટ હાઉસના કર્મચારીઓને પૂછ્યું હતું કે સર્કિટ હાઉસમાં કોણ હાજર છે ? તો જવાબ મળ્યો કે અત્યારે શંકરસિંહ વાઘેલા સર્કિટ હાઉસમાં છે. એ પછી એમણે ચા પીવા માટે મને કહ્યું અને અમે બંને ચા પીવા માટે ભેગા થયા હતા.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા પક્ષ પલટો કરવા માટે જાણીતા છે. વર્ષ 1995માં બળવો કરીને તેમણે ભાજપમાંથી રાજપા બનાવી હતી અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. એ પછી 2017માં કોંગ્રેસ છોડીને તેમણે પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી. જો કે એ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. ત્યાર બાદ જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા હતા. જો કે એ પાર્ટીમાં મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગતાં તેમણે એનસીપી છોડી દીધું હતું.

RELATED ARTICLES

Most Popular