શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાય છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે. અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

શીતળા સાતમની વાર્તા: –
એક નાનકડું ગામ હતું. ગામમાં દેરાણી-જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક-એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળું હતી, જ્યારે નાની બહુ ભોળી અને દયાળુ હતી.
એક વખત શ્રાવણ મહિનામાં રાંધણ છઠ્ઠના દિવસે નાની વહુ રસોડામાં રાંધવા બેઠી હતી. મોડી રાત સુધી રસોઈ કરતા કરતા તે થાકી ગઈ. દરમિયાન તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો. તે તેની પાસે ગઈ અને દીકરા પાસે થોડી વાર આડી પડી. પરંતુ ખૂબ જ થાકી ગઈ હોવાથી તેને ઊંઘ આવી ગઈ. રસોડામાં સળગતો ચુલો ઠારવાનું તે ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાત્રિના સમયે બધાના ઘરે ફરવા નીકળ્યા અને ચુલામાં આળોટવા લાગ્યા. પરંતુ ચુલો ઠારેલો ન હોય શીતળા માતાને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું. જેથી કોપાયમાન થઈને શીતળા માતાએ નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો.

નાની વહુએ જ્યારે સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચુલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે તેને શીતળા માતાનો કોપ લાગ્યો છે. તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ આશ્વાસન આપતાં કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માગ. માતાજી તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે.
સાસુની વાત સાંભળીને નાની વહુ તેના ભડથુ થઈ ગયેલા દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી. રસ્તામાં બે તલાવડીઓ આવી. બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઇ તેનું પાણી પીતું નહોતુ કેમકે જે તેનું પાણી પીવે તેનું મૃત્યુ થતું હતું. પોતાનો દીકરો લઈને જતી નાની વહુને જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર ઉતરેલા શીતળામાતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની માફી માગવા માટે જાઉ છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે. એ ભલે ત્યારે કહીને આગળ નીકળી પડી.
નાની વહુ આગળ વધી તો રસ્તામાં બે આખલા લડતાં હતા. બંન્ને આખલાના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતાં. નાની વહુને જતી જોઈને આખલાઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તેણે પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે. આખલાઓને પણ ભલે ત્યારે કહીને તે ફરી આગળ વધવા માંડી.
આગળ ચાલતા રસ્તામાં એક ઝાડ નીચે એક ડોશી મા પોતાના બંન્ને હાથે માથામાં ખંજવાળતા હતા. એ ડોશી માએ વહુને પૂછ્યું કે આમ હાંફતી હાંફતી ક્યાં જાય છે? વહુએ બધી વાત જણાવી. તો ડોશી માએ કહ્યું કે જરા મારું માથું જોતી જા. નાની વહુ દયાળુ હોવાથી ના કહી શકી નહી. પોતાનો દીકરો તેણે ડોશી માના ખોળામાં મૂક્યો અને ડોશીમાના માથામાં જૂ વીણવા લાગી. થોડી વાર પછી જ્યારે ડોશી માનું માથું ઠરી ગયું ત્યારે તેણે આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો.

ડોશી માએ આમ કહેતાં જ ચમત્કાર થયો અને નાની વહુનો દીકરો ફરી જીવંત થયો. નાની વહુ સમજી ગઈ કે આ ડોશી મા જ શીતળા માતા જ છે. તે માતાજીના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી. ત્યાર બાદ તેને તલાવડીઓના દુ:ખનું નિવારણ પૂછ્યું તો માતાજીએ જણાવ્યું કે તે ગયાં જનમમાં બંને શોક્ય હતી દિવસ ઊગે ત્યારથી દિવસ આથમે ત્યાં સુધી લડતી રહેતી હતી કોઇને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઇ તેમનું પાણી નથી પીતું. તું જઈને એમનું પાણી પીજે તો તેમના દુ:ખનું નિવારણ થઈ જશે. ત્યાર બાદ નાની વહુએ બે આખલાઓના લડવાનું કારણ પૂછ્યું તો માતાજીએ જણાવ્યું કે ગયાં જનમમાં એ બંને આખલાઓ દેરાણી-જેઠાણી હતા. દેરાણી-જેઠાણી બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઇને પણ અનાજ દળવા નહોતી દેતી તેથી આ જનમમાં આખલા બનીને ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાંખજે તો એ બંને લડતા બંધ થઈ જશે.
શીતળામાતાના આશીર્વાદ લઈને ખુશ થતી થતી નાની વહુ પાછી ફરી. રસ્તામાં આખલા મળ્યાં. માતાજીના કહ્યા પ્રમાણે એ બંનેના દુ:ખનું તેણે નિવારણ કર્યું. ત્યાર બાદ બંને તલાવડીનું પાણી પીતાં તલાવડીનું દુ:ખ પણ દૂર થયું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઇને ખુશીના રેડ થઈ ગયાં. પરંતુ તેની જેઠાણી ઈર્ષાથી અંદર અંદર બળવા લાગી.
આ રીતે એક વર્ષ પુરું થયું. ફરી વખત શ્રાવણ મહિનો આવ્યો ત્યારે આ વખતે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાતાના દર્શનની ઇચ્છા થઈ. તેથી તેણે જાણી જોઈને ચુલો સળગતો મૂક્યો અને સૂઈ ગઈ. રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચુલામાં આળોટવાને કારણે બળી ગયું. માતાજીએ મોટી વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શાપથી મોટી વહુનો દીકરો બળીને ભડથું થઈ ગયો.
મોટી વહુ પણ નાની વહુની જેમ પોતાના ભડથું થયેલા દીકરાને લઈને ચાલી નીકળી. રસ્તામાં તેને બે તલાવડીઓ મળી. તલાવડીઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો મોટી વહુ ગુસ્સે થઈને બોલી કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે, એને ફરી જીવતો કરવા શીતળા માતા પાસે જાઉ છું. તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો મોટી વહુએ તેમને ના કહી દીધી અને આગળ ચાલવા માંડી. આગળ જતાં તેને બે આખલા મળ્યા. આખલાઓ તેમને પૂછવા લાગ્યા કે અમારું કામ કરીશ તો આખલાઓને પણ તેણે ના કહી દીધી અને આગળ ચાલવા લાગી. આગળ એક ઝાડ નીચે એક ડોશી મા પોતાનું માથું ખંજવાળી રહ્યા હતા. ડોશી માએ મોટી વહુને પોતાનું માથું જોવા માટે કહ્યું તો તેણે કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં, મારે શીતળા માતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તે ત્યાંથી આગળ ચાલી નીકળી. આખો દિવસ ફરી ફરીને તે થાકી ગઈ પણ તેને ક્યાંય શીતળા માતાના દર્શન ન થયા. એટલે પોતાના દીકરાને લઈને છાતી કુટતી કુટતી તે ઘરે આવી.
દેરાણી ભક્તિભાવ વાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જ્યારે જેઠાણી તેના સ્વભાવને લીધે તેનો દીકરો ખોઈ બેઠી. તો હે શીતળા માતા, તમે જેવી રીતે દેરાણીને ફળ્યા તેવા જ તમારું વ્રત કરનાર અને આ કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.