વર્ષોથી રાહ જોતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના આંદોલનના 15 દિવસ બાદ આખરે સરકારે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીના નિર્ણય સામે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ હવે વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ રાજ્યમાં કુલ 24700થી વધુ શિક્ષકોની ભરતી થશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ 42759 જગ્યા ખાલી છે જે પૈકી 24700 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તો પણ હજુ 18000 જેટલી જગ્યા ખાલી રહેશે.

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા પ્રમાણે વિવિધ તબક્કામાં ડિસેમ્બર સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 2011થી 2023 સુધી જેટલી ટેટની પરીક્ષા લેવાઈ છે તે માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. 29-4-23ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવાશે. આગામી દિવસોમાં આની સત્તાવાર જાહેરાત થશે.