સુરતના ભાજપના સાંસદ મુકેશ દલાલને ગુજરાત હાઈકોર્ટે સમન મોકલ્યું છે. ગત 22 એપ્રિલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નકારી કાઢવામાં આવ્યું હતું, જે બાદ અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. જેથી મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ચાર નેતાઓએ આ મામલાને લઈને વાંધો ઊઠાવ્યો છે અને કલેક્ટર તથા રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકાર્યો છે. નીલેશ કુંભાણીનું નામાંકન નામંજૂર કરવાના નિર્ણયને પડકારીને કોંગ્રેસના નેતાઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

પિટિશનરોના વકીલે આ અંગે જણાવ્યું કે જસ્ટિસ જે.સી. દોશીની કોર્ટે સાંસદ મુકેશ દલાલને સમન મોકલ્યું છે અને તેમને 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ કેસની સુનાવણી 25 જુલાઈએ થઈ હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નામંજૂર થયા બાદ અને અન્ય ઉમેદવારોએ પાછી ખેંચી લીધા બાદ મુકેશ દલાલને 22 એપ્રિલે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ દિવસે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.ૉ

લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો દ્વારા જે સહી કરવામાં આવી હતી. તે ખોટી હોવાનું પુરવાર કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. પિટિશન કરનાર કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તા તો પછી છીએ, પહેલા સુરત લોકસભા બેઠકના મતદાર છીએ. ભાજપે કાવતરૂ રચીને લાખો મતદારોનને તેમના મુળભુત અધિકારથી વંચિત રાખ્યા છે. તેમનું કહેવું છે કે જો અમને ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી લડીશું.
આ પણ વાંચો – જૂની પેન્શન યોજનાની માગ સાથે શિક્ષકો ફરી કરશે આંદોલન?
અરજદારોએ દાવો કર્યો છે કે કુંભાણીના ત્રણ દરખાસ્તકારોમાં જેમણે સહી કર્યાનો ઇનકાર કર્યો હતો, તેમણે જ નાયબ કલેક્ટર સમક્ષની અરજીમાં જાહેર કર્યું હતું કે તેઓ દરખાસ્તકાર તરીકે તેમના નામાંકન પત્રો પર સહી કરશે. તેમણે તે જ મતદારક્ષેત્રના મતદાર હોવાનું જાહેર કરતા પ્રમાણપત્ર માટે અરજી કરતી વખતે આ કર્યું હતું. જે પ્રસ્તાવકર્તાઓ માટે પૂર્વ શરત હતી. વધુમાં, સહીઓની ચકાસણી એ કલેક્ટરનું કામ નથી, કુંભાણીનું નામાંકન તેમના દરખાસ્તકારોની સહીઓમાં વિસંગતતાને કારણે નકારી કાઢવામાં આવ્યું હતું, જેમણે સોગંદનામું દાખલ કર્યું હતું કે તેમણે પેપર્સ પર સહી કરી નથી. તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન પણ આ જ કારણોસર અમાન્ય કરવામાં આવ્યું હતું.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પાર્ટી હોવાથી કોંગ્રેસ પાસે કોઈપણ મતવિસ્તારમાં તેના ઉમેદવારો માટે પ્રસ્તાવકોની કોઈ કમી નથી. બંને અરજીઓમાં રિટર્નિંગ ઓફિસરના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 36ની જોગવાઈઓ હેઠળ કુંભાણીનું નામાંકન નકારવાના નિર્ણય પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ તરફ ભાજપના સાંસદ મુકેશ દલાલે કહ્યું કે તેમને આવું કોઈ સમન નથી મળ્યું. સમનમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંગે પણ તેમને ખ્યાલ નથી. તેમણે કહ્યું કે જ્યારે સમન મળશે ત્યારે જવાબ આપીશ.