ચોટીલામાં ટીબીની દવાની અછત અને દાન માટે વિનંતિના મેસેજના નમસ્તે ગુજરાતના અહેવાલ બાદ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અહેવાલ પ્રસારિત થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ સમગ્ર જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં તપાસ કરી તો જિલ્લાની કોઈ સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા ન હોવાનું જાણવા મળ્યું.
જિલ્લાની કોઈ સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા ન હોવા અંગે રાજુ કરપડાએ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે મુલાકાત કરી અને આ અંગે તેમનો જવાબ માગ્યો. જો કે રાજુ કરપડાને આરોગ્ય અધિકારીએ તાલુકાના આરોગ્ય અધિકારી સ્વતંત્ર રીતે કામ કરતા હોવાનું જણાવતા રાજુ કરપડાએ તેમને જિલ્લા અધિકારી તરીકે તેમની જવાબદારી સમજાવી હતી. બાદમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તેમને જિલ્લા ટીબી અધિકારી દ્વારા દવાની અછત અંગે જણાવવામાં નહોતું આવ્યું. ત્યારે દવાની અછત અંગે જિલ્લા ટીબી અધિકારી શું કરી રહ્યા છે તે અંગે સવાલ ઊઠી રહ્યો છે.
