સુરેન્દ્રનગરમાં મૂળી પંથકમાં કોલસાની ખાણમાં થોડા દિવસો પહેલાં થયેલા મજૂરોના મોતના મામલાની ગુંજ દિલ્હી સુધી પહોંચી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો રાજ્યસભામાં ઊઠાવ્યો. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગરમાં અનેક જગ્યાએ ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં આવા જ ખોદકામમાં ત્રણ મજૂરોના મૃત્યુ થયા હતા. આ પહેલાં પણ આવા બનાવો બની ચૂક્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે આવા કેસમાં પોલીસ મૃતકના પરિવારજનોની ફરિયાદ નથી લેતી. કારણ કે ઉપર સુધી હપ્તો પહોંચે છે. તેથી આ મામલે સીબીઆઈ તપાસ અથવા તો જ્યુડિશિયલ ઈન્ક્વાયરીની તેમણે માગ કરી.

આ તરફ ખાણમાં ઉતરેલા મજૂરોના મોતની ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ પણ સાબદું બન્યું છે. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના આંટાફેરા વધી ગયા છે. પરંતુ સ્થાનિકોના મતે થાન અને મૂળીમાં જ્યાં ખાણો ખોદવામાં આવે છે ત્યાં આંટાફેરા મારવાને બદલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચોટીલા હાઈવે પર આંટાફેરા મારી રહ્યા છે. કદાચ અધિકારીઓના મનમાં એવું હશે કે હાઈવે પર આંટાફેરાથી આવતા જતા અધિકારીઓ કે મોટા નેતાઓને તેમની હાજરીનો ખ્યાલ આવે. પરંતુ જ્યાં તેમણે તપાસ કરવી જોઈએ ત્યાં તપાસ માટે તેઓ ન જતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાઈવે પર આંટાફેરા મારતી ખાણખનીજ વિભાગની ગાડીના ફોટા પણ વાયરલ થયા છે.

ત્યારે જો સ્થિતિ આવી જ રહેશે તો ગેરકાયદે ખોદકામ અને ખનીજ ચોરી કેમ અટકશે તે સવાલ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તપાસ માટે ફરી રહેલી ટીમ પણ કદાચ હપ્તાના ભાર નીચે દબાયેલી હશે જેથી જે સ્થળે તપાસ કરવી જોઈએ તેને બદલે હાઈવે પર આંટાફેરા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામની સરકારી જમીનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા. કામ કરી રહેલા મજૂરો પાસે ગેરકાયદે કામ કરાવવામાં આવતું હતું ઉપરાંત તેમને કોઇપણ પ્રકારના સુરક્ષાના સાધનો પણ નહોતા આપવામાં આવ્યા. આશરે 200 ફૂટ ઊંડી કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરવા ઉતારવામાં આવ્યા હતા. આખરે આ મામલે આપના અને કોંગ્રેસના નેતાઓએ સવાલો ઊઠાવતા ગેરકાયદે ખોદકામ કરાવનાર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ, મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત ચાર જણા સામે સઅપરાધ માનવવધનો ગુનો મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના સરકારી જમીનમાં બની હતી. ત્યારે આ કેસમાં કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ અને આરોપીઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ તેવી માગ સામાજિક આગેવાન અને આપના નેતા રાજુભાઈ કરપડાએ કરી છે.