ઉત્તરપ્રદેશના સીતાપુરમાં અરેરાટી ફેલાવતી ઘટના બની છે. સીતાપુરના પાલાપુર ગામમાં એક પરિવારમાં સામૂહિક હત્યા બાદ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ એ પરિવારના જ 45 વર્ષના પુરુષે કરી છે.
પાલાપુરમાં રહેતા અનુરાગ ઠાકુર નામના પુરુષે પહેલાં ગોળી મારીને તેની માતાની હત્યા કરી બાદમાં તેની પત્નીને ગોળી મારી અને હથોડી વડે તેનું માથું છુંદી નાખ્યું. માતા અને પત્નીની હત્યા બાદ તેણે તેના માસૂમ બાળકોને ધાબા પરથી નીચે ફેંકી દીધા. અને નીચે પટકાતાં ત્રણેય બાળકો મોતને ભેટ્યા. માતા, પત્ની અને બાળકોની હત્યા બાદ અનુરાગ પોતે ઘર બહાર આવ્યો અને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

ઘટનાની હકીકત જણાવવા કોઈ નથી બચ્યું
ઘટના અંગે જાણ થતાં પોલીસ પાલાપુર પહોંચી ગઈ અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી. જો કે સમગ્ર ઘટના અંગે માહિતી આપવા માટે પરિવારમાં કોઈ બચ્યું નથી. આરોપી અનુરાગે પોતે પણ આત્મહત્યા કરી લેતાં તેણે શા માટે તેની માતા, પત્નીની અને બાળકોની હત્યા કરી તે અંગે હવે પોલીત પોતાની રીતે તપાસ કરી રહી છે.
ગામલોકો સાથેની વાતચીત દરમિયાન પોલીસને એવું જાણવા મળ્યું છે કે અનુરાગ દારૂ પીવાની ટેવ વાળો હતો તેથી તેની માતા અને પત્ની તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલવા માગતા હતા. પરંતુ યુવક કદાચ જવા માટે તૈયાર નહોતો. પરિવારને ખેતીનો વ્યવસાય હતો પરંતુ દારૂના નશાને કારણે યુવક ખેતી પર ધ્યાન નહોતો આપતો તેથી આ બાબતને લઈને ઘરમાં ઝઘડો પણ થતો રહેતો હતો. ત્યારે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ આ સામૂહિક હત્યા અને આત્મહત્યાનો બનાવ બન્યાનું પ્રાથમિક કારણ જણાઈ રહ્યું છે.

વહેલી સવારે 5 વાગ્યા આસપાસ બની ઘટના
ગામલોકોએ પોલીસને જણાવ્યું કે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો હતો. જેને લઈને લોકો પોત પોતાના ઘર બહાર દોડી આવ્યા. આ દરમિયાન અનુરાગ પોતાના લમણા પર બંદુક રાખી રહ્યો હતો. લોકો તેને અટકાવે એ પહેલાં તેણે ટ્રિગર દબાવી દીધું અને તે ત્યાં ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. જે બાદ પાડોશીઓ ઘરની અંદર જોવા ગયા તો ત્યાં આંગણામાં ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતા. ઘરમાં અનુરાગની માતા સાવિત્રિબહેનનો મૃતદેહ પડ્યો હતો અને તેની પત્ની પ્રિયંકાની લાશ ઘરની અગાશી પર હતી. પોલીસે ઘરને કોર્ડન કરીને ફોરેન્સિક એક્સપર્ટની ટીમને બોલાવતાં તેમના દ્વારા જરૂરી સેમ્પલ લઈને એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે. અને ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

પરિવાર પાસે હતી 100 વીઘા જમીન
સામે આવેલી વિગતો પ્રમાણે અનુરાગ પાસે 100 વીઘા જેટલી જમીન હતી. અનુરાગના પિતા હયાત નહોતા. ઘરમાં માત્ર 3 બાળકો સહિત 6 સભ્યો જ હતા. અનુરાગની પત્ની પ્રિયંકા લખનૌમાં એક વીમા કંપનીમાં કામ કરતી હતી. અનુરાગ છેલ્લા થોડા સમયથી દારૂનો નશો કરતો હતો અને વ્યસની બની ગયો હતો. જેને લઈને તેની પત્ની અને તેની માતાને ઘણી ચિંતા થયા કરતી હતી. આ વાતને લઈને ઘરમાં ઝઘડાઓ પણ થતા રહેતા હતા. પ્રિયંકા અનુરાગને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલવા માગતી હતી. પરંતુ અનુરાગ જવા નહોતો માગતો. કદાચ અનુરાગને એવું લાગ્યું હતું કે જો કે વ્યસનમુક્તિ કેન્દ્રમાં જશે તો તેની આબરૂ ઘટી જશે. શુક્રવારે મોડી રાત્રે પણ આ મુદ્દે ઘરમાં ઝઘડો થયો હતો. ઘણીવાર સુધી બોલાચાલી થઈ. દરમિયાન ગામલોકોએ આવીને ઝઘડો શાંત પાડ્યો.
રાત્રે આશરે 2:30 વાગ્યે ઝઘડો શાંત થયો. પત્ની અને બાળકો અગાશી પર સૂતા હતા. અને સાવિત્રિબહેન ઘરમાં નીચે સુતા હતા. મગજ અશાંત હોઈ અનુરાગને ઊંઘ નહોતી આવતી તે થોડીવાર ફરતો રહ્યો. સૂવાનો ડોળ કરતો રહ્યો અને સવારે 5 વાગ્યા આસપાસ તેણે ઘરના બધા સભ્યોને મારી નાખ્યા. જે બાદ પોતે પણ આપઘાત કરી લીધો.
અનુરાગ રાત્રે ઘરે આવી કરતો ગાળાગાળી
લોકોના જણાવ્યા પ્રમાણે અનુરાગ કોઈ કામ ધંધો નહોતો કરતો. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. અનુરાગ છેલ્લા થોડા સમયથી ખેતીના કામમાં પણ ધ્યાન આપતો નહોતો. તે રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતો હતો અને ગાળાગાળી કરતો હતો.
સીતાપુરના એસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું છે કે રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પાલાપુરમાં આ ઘટના બની છે. સવારે લગભગ 7 વાગે પોલીસને આ ઘટના અંગે જાણ થઈ હતી. 45 વર્ષના અનુરાગે તેના પરિવારના 5 સભ્યોની હત્યા કરીને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી. પાડોશીઓના કહ્યા પ્રમાણે અનુરાગ દારૂ પીતો હતો અને માનસિક તણાવમાં રહેતો હતો.