Homeગુજરાતવડોદરાની સ્થિતિ ચિંતાજનક; નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા સૂચના

વડોદરાની સ્થિતિ ચિંતાજનક; નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા સૂચના

વડોદરામાં ભારે વરસાદને લઈને સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટની છે. અને અત્યારે નદીની સપાટી 28 ફૂટે પહોંચી ગઈ છે. જેને લઈને આસપાસના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવા કવાયત હાથ ધરી છે. અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારો જલ્દી ખાલી કરી દે અને કામ વગર બહાર નીળવાનું લોકો ટાળે. મહત્વનું છે કે સવારથી સાંજ સુધીમાં વડોદરામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અને હજુ વરસાદ ચાલુ છે. આગામી બે ત્રણ દિવસમાં પણ ભારે વરસાદની આગાહી છે.

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનુ કહેવું છે કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. અને અત્યારે 28 ફૂટ પર વહી રહી છે. આમ નદીનું જળસ્તર ભયજનક સપાટી કરતાં બે ફૂટ ઉપર વહી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને લઈને ત્યાંનું પાણી તેમજ આજવા,પ્રતાપપુરા ડેમના પણ પાણીની સપાટી વધી હોય એ પાણીની પણ આવક થતાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટથી પણ પર વહી રહી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તેમણે અપીલ કરી છે. તંત્ર દ્વારા પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું.

 વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ વડોદરાવાસીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અને ત્રણ દિવસ રેડ એલર્ટ હોવાને કારણે સ્થિતિ ઘણી ગંભીર બની રહી છે. વડોદરામાં સતત વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ઉપરવાસમાંથી પણ અને આજવા સરોવરમાં પાણીની આવક સતત ચાલુ છે જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે.

તેમણે કહ્યું કે સ્થિતિ ખરેખર ગંભીર છે.નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલથી જ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી બસો મારફતે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. જેમાં 1500 કરતાં વધુ નાગરિકોને વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 16 જેટલી શાળામાં સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના રહેવાની, જમવાની અને મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે વધુ લોકોના સ્થળાંતર માટે અન્ય 14 જેટલી શાળા પણ તૈયાર રાખવામાં આવી છે.

વડોદરાવાસીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે  લોકો કારણ વગર ઘરની બહાર ન નીકળે. કારણ કે વડોદરામાં 85 કરતા વધુ વૃક્ષો બે દિવસમાં ધરાશાયી થયા છે જેમાં કેટલાક વૃક્ષો સાથે વીજ પોલ પણ પડ્યા છે. કદાચ તેમાં જીવંત વાયર પણ હોઈ શકે અને કોઈ જગ્યાએ પાણીમાં ઝેરી જીવો પણ તણાઈને આવી શકે. તેથી લોકોએ બહાર નીકળવાનું ટાળવું.

તેમણે કહ્યું કે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈ પણ મદદની જરૂર હોય તો જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકાશે. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ હોવાનું તેમણે જણાવ્યું.

અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું કે આ કુદરતી આફતનો સામનો કરવા વડોદરાનું તંત્ર બરાબર લાગેલું છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દરેક નગરવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઘરની બહાર ન નીકળે બને એટલું ઘરમાં રહે પોતાની જાતને અને પોતાના પરિવારજનોને સાચવીને રહે.

તેમણે કહ્યું કે અકોટા વિધાનસભાના વિસ્તારો – જેવા કે પરશુરામ નગર,મહાકાળી નગર, જવાહર નગર સહિતના કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ શકે છે. જે પ્રકારે વડોદરા શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે , ઉપરવાસમાં પણ વરસાદ હોવાથી ત્યાંનું પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે અને શહેરમાં પણ વરસાદ વરસ્યો છે એ પાણી પણ વહેતું જ રહેશે.

વધુમાં તેમણે કહ્યું કે  ઘણી બધી સોસાયટીમાં પાણી ભરાયા છે અને કેટલીક સોસાયટીઓમાં ગટર બેક થવાની સમસ્યા પણ સર્જાય છે.જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ તંત્ર તેની રીતે કામ કરી રહ્યું છે. તંત્રના કામમાં સાથ સહકાર આપવાની તેમણે નાગરિકોને અપીલ કરી છે. જેથી વહેલી તકે સંકટમાંથી બહાર આવી શકાય.

તેમણે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા જે સ્થળાંતર અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરીમાં લોકો સાથ સહકાર આપે.

RELATED ARTICLES

Most Popular