વડોદરામાં કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. વડોદરામાં જે રીતે ભારે વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ત્યારે આવી સ્થિતિમાં લોકોને કોઈ મદદ ન મળે તો તેઓ રોષમાં હોય તે સ્વાભાવિક છે. ત્યારે કોર્પોરેટર બંદીશ શાહ પાણી ઉતરી ગયા બાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જેને લઈને લોકોએ તેમને ઘેરી લીધા અને કહેવા લાગ્યા કે અમારે કોઈને મત નથી આપવા, તમે અહીંથી જતા રહો. અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું. પીવાનું પાણી પણ મળ્યું નથી.
આ પણ વાંચો – પોલીસ સામે સાંસદ ગેનીબેન ઠાકોરે લગાવ્યા ગંભીર આક્ષેપ

‘બહાર કાઢો બહાર કાઢો’ના લાગ્યા નારા
વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશ શાહ ગુરુવારે રાત્રે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીબાઈની ચાલની મુલાકાતે ગયા હતા. જે દરમિયાન તેમને લોકોએ ઘેરી લીધા હતા. તેમના પર લોકોએ રોષ ઠાલવ્યો હતો અને ‘બહાર કાઢો બહાર કાઢો’ ના નારા લાગ્યા હતા. લોકોનો રોષ જોઈને કોર્પોરેટર સાહેબે તુલસીબાઈની ચાલમાંથી ચાલતી પકડી હતી. જો કે, લોકો તેમને ઉગ્ર રજૂઆત કરવા માટે તેમની પાછળ પાછળ જતા જોવા મળ્યા હતા. આ સમયે લોકોએ હમારી માગે પૂરી કરવાના નારા પણ લગાવ્યા હતા.

ત્રણ દિવસ સુધી ન મળ્યું પીવાનું પાણી
વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકોને 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહેવું પડ્યું હતું. જેને લઈને સરકાર અને તંત્ર સામે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને તંત્ર કે સરકાર તરફથી કોઈ મદદ મળી ન હોવાનું લોકો કહી રહ્યા છે. ત્રણ દિવસ સુધી તેઓ પોતાનાં ઘરોમાં પુરાઈ રહ્યા હતા. અને આ દરમિયાન લોકોને પીવાનું પાણી પણ નહોતું મળ્યું. અને હવે પાણી ઓસર્યા બાદ વડોદરાના ધારાસભ્યો,કોર્પોરેટરો અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે, ત્યારે લોકોના રોષનો ભોગ બનવું પડે તે સ્વાભાવિક છે.
હર્ષ સંઘવીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો
મહત્વનું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુરુવારે લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પરશુરામ ભઠ્ઠાની મુલાકાત લેવા પહોંચ્યા એ દરમિયાન લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત હરણી મોટનાથ મહાદેવ,ધ્યાન રેસિડેન્સીમાં ધારાસભ્ય મનીષાબેન વકીલનો પણ લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ સમા-સાવલી રોડના અજિતા નગરમાં પહોંચ્યા ત્યારે પણ લોકોએ તેમને ઘેરી લીધા હતા. લોકોએ તેમને થયેલા નુકસાનની ભરપાઇ કરવા સરકાર તૈયાર છે કે, કેમ? એવા સવાલ કર્યા હતા.બુધવારે મેયર પિન્કીબેન સોની દૂધની થેલીઓ વહેંચવા જતાં રહીશોએ સવાલો કરતાં તેઓ સ્થળ છોડી જતાં રહ્યાં હતાં.

વિશ્વામિત્રી નદીના પાણી રોકવા નથી થઈ નક્કર કામગીરી
ઉલ્લેખનીય છે કે વડોદરામાં આ પહેલાં પણ આવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. ભાજપના 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને રોકવા કોઈ નક્કર કામગીરી ન થઈ હોવાનું લોકો કહી રહ્યા છે. જેન લઈને ભારે વરસાદના સમયે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળે છે. જેમાં મગર અને સાપો પણ શહેરમાં આવી ચડે છે. અને પાણી ઓસર્યા બાદ લોકપ્રતિનિધિઓ તેમના વિસ્તારમાં જાય તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. ત્યારે નક્કર કામગીરી ક્યારે થશે તેવો લોકો સવાલ કરી રહ્યા છે.