મોદી સરકારની વંદે ભારત ટ્રેન ફરી એક વખત ચર્ચામાં આવી છે. જોરશોર પ્રચાર સાથે શરૂ કરવામાં આવેલી આ ટ્રેન અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી. પરંતુ ટ્રેન સુરત પહોંચી એ દરમિયાન ટ્રેનના દરવાજા લોક થઈ ગયા હતા. દરવાજા ન ખૂલતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. ટ્રેનના સી-14 કોચના દરવાજ ન ખૂલવાને કારણે મુસાફરો હાલાકીમાં મૂકાઈ ગયા હતા અને વંદે ભારત ટ્રેન પણ સુરત રેલવે સ્ટેશન પર એક કલાક કરતા વધુ સમય સુધી અટવાઈ પડી હતી.

કદાચ ઓછા પાવરને કારણે કોચનો દરવાજો ન ખૂલી રહ્યો હોવાનું માનીને ટ્રેનના એસી અને લાઈટ પણ બંધ કરવામાં આવ્યા હતા. આમ છતાં દરવાજા નહોતા ખૂલ્યા. જે બાદ રેલવેકર્મીઓ દ્વારા સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. જે બાદ સુરત ઉતરનારા મુસાફરો સી-14 કોચમાંથી બહાર આવ્યા હતા. દરવાજા ન ખૂલતા હોવાની જાણ કરાતા રેલવે વિભાગના એન્જિયર્સની ટીમ દોડતી વંદે ભારત ટ્રેન પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ વંદે ભારત ટ્રેન અવારનવાર ચર્ચામાં આવતી રહી છે. ટ્રેન અગાઉ કેટલીક વાર પશુઓ સાથે અથડાવાને કારણે ચર્ચામાં આવી હતી. ત્યારે આ ટ્રેનમાં સર્જાતી ખામી પરથી લોકો એવું કહી રહ્યા છે કે નવું નવું નવ દિવસ.