નાણા વિભાગમાં વર્ગ-2ના અધિકારી તરીકે ફરજ બજાવતા અને સ્વભાવે સરળ અમરેલી જિલ્લાના જયેશ ખાચર નામના યુવકનું નિધન થતાં પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ તેમના પરિવારજનોને શોક સંદેશ પાઠવીને શ્રદ્ધાંજલિ આપી છે.

પૂર્વ અધિકારી અને મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા લખે છે કે –
અમરેલી જિલ્લાના નીલવળા ગામના તરવરિયા કાઠી યુવાન જયેશ ખાચરે ૨૦૧૮માં જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને નાણા વિભાગમાં ક્લાસ-૨ અધિકારી તરીકે સેવામાં જોડાઈ ગયો. ગામડાની સરકારી શાળામાં ભણેલો આ યુવાન પોતાની ક્ષમતાના જોરે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં અધિકારીના ઉચ્ચ પદ પર પહોંચી ગયો. ૨૦૧૮ની એમની બેચનો કદાચ એ સૌથી નાની ઉંમરનો અધિકારી હતો. રાજકોટના સરદાર ભવનમાં પરીક્ષાની તૈયારી કરતો ત્યારે માર્ગદર્શન માટે મને ઘણીવાર મળતો.

સરકારી પદ મળતા જ માણસના તેવર બદલવા માંડે એવા અનેક કિસ્સા મે મારી સગી આંખે જોયા છે, પણ જયેશ અધિકારી બન્યા પછી ઉલ્ટાનો વધુ નમ્ર થયો. હોદાનો કોઈ જ ઘમંડ નહિ, સામાન્યમાં સામાન્ય માણસ સાથે હસીને વાત કરે. તમે સરકારી કચેરીમાં જાવ તો ઘણા બાબુઓના મોઢા તમને ઉતરેલી કઢી જેવા લાગે એની સામે આ છોકરો હંમેશા હસતો જ હોય. કામમાં ક્યારેય વેઠ નહિ ઉતારવાની. એના નિયમિત કામ સિવાય કલેકટર દ્વારા બીજું કોઈ કામ સોંપવામાં આવે તો એ કામ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરે. જ્યાં પણ કામ કરે ત્યાં એવા ભળી જાય કે બધાને એમ જ લાગે કે આ આપણાં વિભાગના અધિકારી છે.

અધિકારીની ખુરશી પર બેસતાની સાથે મોટા ભાગના અધિકારીઓમાં ખુરશી પણ બેસી જતી હોય છે. આ સાવ નોખી માટીનો માણસ હતો. ખુરશીનો કોઈ ભાર નહિ. સાવ સાદું જીવન. બીજા શું કરે છે એમાં કોઈ રસ નહિ બસ પોતાની મસ્તીમાં જીવવાનું.
એમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને જયેશભાઈ બોસ ઓછા અને મિત્ર વધુ લાગે. સહ કર્મચારી હોય કે અરજદાર બધાને કામમાં મદદ કરે. અમરેલીમાં અધિક જિલ્લા તિજોરી અધિકારી તરીકે જિલ્લાના નિવૃત્ત કર્મચારી/અધિકારીઓને પેન્શન ચૂકવવાની એમની જવાબદારી હતી. આ જવાબદારી એમણે એવી બખૂબીથી નિભાવી કે હજારો પેન્શનરોના હદયમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું. કોઈ દાદા કે દાદી પોતાના પેન્શનના કોઈ પ્રશ્નના નિરાકરણ માટે આવ્યા હોય તો પોતાની ચેમ્બરમાંથી બહાર ઊભા થઈને જાણે એમના જ દાદા કે દાદી હોય એ રીતે સાથે જાય અને એમના પ્રશ્નનો ઉકેલ લાવે. સાચો કાઠી દરબાર કેવો હોય એ તમને જયેશને જોઈને સમજાય.

ગઈકાલે રાત્રે અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થવાથી માત્ર ૫ જ મિનિટમાં શરીર છોડીને અનંતની વાટે નીકળી ગયા. જેટલી ઝડપથી એ લોકોના કામ કરતા એટલી જ ઝડપથી માત્ર ૨૮ વર્ષની વયે આ જગત છોડી દીધું. ભગવાન પણ ગજબનો ખેલ ખેલે છે. એમની રચેલી આ સૃષ્ટિને જે સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન આપતા હોય એને અહીંયા રહેવા દેવાને બદલે પોતાની પાસે બોલાવી લે છે.

અમારી હિસાબી કેડરે એક ઉત્કૃષ્ટ લાગણીશીલ અધિકારી ગુમાવ્યા છે. ભગવાન તમારા દિવ્યાતમાને એમના સાનિધ્યનું સુખ આપે એવી પ્રાર્થના.
– શૈલેશ સગપરિયા