સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જે સ્કૂલ બસમાં 30 જેટલા વિદ્યાર્થીઓ બેસેલા હોય દોડ ધામ મચી ગઈ. જો કે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.

વઢવાણ તાલુકાના વસ્તડીની ભોગાવો નદીમાં નવા નીરની આવક થતાં પાણીની સપાટી વધી ગઈ હતી. દરમિયાન સવારના સમયે બાળકોને લઈને જઈ રહેલી સ્વામિનારાયણ સ્કૂલની બસ ડાયવર્ઝન પરથી પસાર થતાં પાણીના પ્રવાહને કારણે ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ગામલોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્કૂલ બસમાં સવાર તમામ બાળકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ જેસીબી વડે બસને પણ બહાર કાઢવામાં આવી હતી.

મહત્વનું છે કે બે દિવસ અગાઉ રાત્રિના સમયે એક બોલેરો કારમાં 6 વ્યક્તિઓ પણ અહીં તણાવા લાગ્યા હતા જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. આ ઘટના બાદ ફરી આજે સ્કૂલ બસ ફસાઈ ગઈ. બસમાં બેસેલા બાળકોને બચાવી લેવાતા સદનસીબે જાનહાનિ ટળી છે.

ઉલ્લેખનીય છે કે વઢવાણના વસ્તડી ગામમાં જવા આવવા માટે આ એક જ રસ્તો છે. જે રસ્તા પર પાણી ફરી વળતાં વસ્તડી ગામ ફરી સંપર્ક વિહોણું બન્યું છે. જેને લઇને તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં હજુ સુધી રસ્તો બનાવવામાં નથી આવ્યો તેવું લોકોનું કહેવું છે. હાલ પણ કેટલાક લોકો જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પુલનું નવીનીકરણનું કામ કરવામાં આવે તેવી લોકોની માગ છે. આ રસ્તા પર પાણી ફરી વળતાં વસ્તડી સહિત આસપાસના 10થી વધુ ગામોના લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.